Showing posts with label કેન્સરનો ખતરો ટાળે તેવો આહાર. Show all posts
Showing posts with label કેન્સરનો ખતરો ટાળે તેવો આહાર. Show all posts

Wednesday, March 26, 2014

કેન્સરનો ખતરો ટાળે તેવો આહાર રોજ આરોગી રહો ચિંતામુક્ત

આપણે અનેકવાર વાંચ્યુ હશે કે સાંભળ્યુ હશે પૌષ્ટિક આહાર તેમજ લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે અને આપણને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. પરંતુ જ્યારે વાત તેને ખાવાની આવે છે ત્યારે આપણું મોં બગડી જાય છે. આપણા સ્વાસ્થ્ય પ્રત્યેની આ બેદરકારી મોટાભાગે ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપે છે. આપણે હંમેશા એ વાત ભુલી જતા હોઈએ છીએ કે આપણો આહાર જ આપણા સ્વાસ્થ્યનો આધાર છે. આપણે જે ખાઈએ છીએ તેનાથી જ આપણું સ્વાસ્થ્ય બને છે અને તેનાથી જ આપણે બીમારીઓનો ભોગ પણ બની શકીએ છીએ. જો વાત કેન્સરની કરીએ તો વિશ્વભરના લાખો લોકો એના કારણે મોતનો કોળીયો બની રહ્યા છે, પરંતુ કેટલાક આહાર એવા છે જેને આપણે આપણા ભોજનમાં સામેલ કરીએ તો આ બીમારીના ખતરાને ઓછો કરી શકીએ છીએ.

-બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
-ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
-લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
-ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે


બ્રોકલી - બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
બ્રોકલી કેન્સરથી બચાવવામાં આપણી મદદ કરે છે. બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ મોટી માત્રામાં હોય છે. જ્યારે તમે તેને ચાવો છો ત્યારે આ એન્જાઈમ્સ આપણા સિસ્ટમનો ભાગ બની જાય છે. આ હોર્મોન્સ કેન્સરથી બચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. જો કે માનવ શરીર કુદરતીરૂપે જ આ હોર્મોન્સનું નિર્માણ કરે છે, પરંતુ બ્રોકલી જ્યારે તેનો સ્ત્રાવ કરે છે, ત્યારે તે સક્રિય બની જાય છે. અનેક શોધ બાદ એ વાત સાબિત થઈ ચુકી છે કે બ્રોકલી શરીરમાં કેન્સર કોશિકાઓનું નિર્માણ થતું અટકાવે છએ. બ્રોકલીમાં રહેલુ તત્વ શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. તેનાથી આપણે ખરાબ બેક્ટેરીયાથી પણ બચી શકીએ છીએ.

ટમેટા - ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
લાલ-લાલ ટમેટા ભોજનનો સ્વાદ તો વધારે જ છે તેની સાથે સાથે આપણા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે. ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે. આ કેમિકલ કેન્સર સામે લડવાનું એક અસરકારક હથિયાર છે. અનેક શોધોથી એ સાબિત થઈ ચુક્યુ છે કે લાઈકોપિન અનેક પ્રકારના કેન્સરને વધતા રોકવામાં મદદ કરે છે. તેમાં પણ સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્ય અનેક કેન્સરને રોકવામાં તે મદદરૂપ બને છે. શોધ એ પણ દર્શાવે છે કે લાઈકોપિન કેન્સર કોશિકાઓના હુમલાઓથી શરીરની સ્વસ્થ કોશિકાઓને બચાવે છે, જેનાથી કેન્સરને ફેલાતુ રોકી શકાય છે. તેની સાથે તે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

લસણ - લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
લસણની દુર્ગંધ ભલે પસંદ ન હોય પરંતુ કેન્સરથી બચવા માટે તે ખુબ મદદરૂપ ઔષધિ મનાય છે. જો કોઈને પહેલાથી જ કેન્સર હોય તો તેને લસણનું સેવન કરવું જોઈએ. લસણનું સેવન કરવાથી કેન્સરની કોશિકાઓ ઝડપથી નાબુદ થાય છે અને ડીએનએ જલદી રિપેર થાય છે. લસણમાં એચ. પાઈલોરી સહિત અન્ય બેક્ટેરીયા સામે લડનાર એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે અલ્સર તેમજ કેન્સરને રોકવામાં કારણરૂપ બને છે. લસણનો પુરો ફાયદો મેળવવા માટે લસણની કેટલીક કળીઓ લઈ તેને 15-20 મિનીટ ખુલ્લી રાખી મુકો. આવુ કરવાથી સલ્ફરવાળા એન્જાઈમ સક્રિય અને યૌગિક મુક્ત થઈ જશે. લસણ કેન્સરના ખતરાને રોકવા કે ઓછો કરવા માટે ‘એલીઅમ’ પરિવારમાં સૌથી ઉપર આવે છે.

મશરૂમ
મશરૂમ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ શાકભાજી છે. તેનું સેવન કેન્સરથી બચાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરે છે. મશરૂમમાં બીટા-ગ્લુકણ મળી આવે છે.સાથે જ તેમાં લેક્ટિન નામનું પ્રોટીન પણ હોય છે. પરંતુ કેન્સર કોશિકાઓ પર હુમલો કરે છે અને તેને આગળ વધતુ રોકે છે. મશરૂમ શરીરમાં ઈન્ટરફેરોનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકે છે.

આદુ
આદુમાં મળતા એન્ટી ઓક્સિડેન્ટ્સ કેન્સરની કોશિકાઓ સામે લડવામાં મદદ કરે છે. નિયમિત રીતે આદુ ખાવાથી કેન્સર થવાની શક્યતા ખુબ ઓછી થઈ જાય છે. આ સિવાય આદુ કોલેસ્ટેરોલના સ્તરને ઓછુ કરે છે. તે લોહીમાં ગઠ્ઠા જામતા અટકાવે છે. આમાં એન્ટીફંગલ અને કેન્સર પ્રતિરોધી ગુણ પણ હોય છે.

ગાજર - ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે
ગાજર સ્વાદની સાથે સ્વાસ્થ્યના ગુણોથી ભરપુર શાકભાજી છે. તેના સેવનથી કેન્સર જેવા રોગોથી બચવામાં મદદ મળે છે. ગાજરમાં બીમારી સામે લડનારા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા કે બીટા કેરાટીન વગેરે ભરપુર માત્રામાં હોય છે. જે કોશિકાઓને ક્ષતિગ્રસત્ થતી અટકાવી કેન્સરની કોશિકાઓના વિકાસને અવરોધે છે. આ સંદર્ભમાં ન્યુકેસલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કના વૈજ્ઞાનિકોને એક શોધમાં જાણવા મળ્યુ કે ગાજરમાં કુદરતી જંતુનાશક ફેલકેરિનાલ નામનું તત્વ હોય છે, જે મનુષ્યો માટે લાભકારક છે. સંશોધનકર્તાઓએ તારકવ્યુ કે ફેલકેરિનાલ કેન્સરની સંભાવનાને 33 ટકા ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સ્ટ્રોબેરી
ખાટી મીઠી અને રસીલી સ્ટ્રોબેરી અનેક બીમારીઓમાં સ્વાદિષ્ટ દવાનું પણ કામ કરે છે. સ્ટ્રોબેરી વિટામીન-સીથી ભરપુર હોય છે. તેને ખાવાથી ન માત્ર બ્લડપ્રેશર ઓછુ થાય છે પરંતુ ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે. આમાં હાજર ફિનોલ્સની પુરતી માત્રા તેને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણોથી ભરપુર બનાવે છે. જેના કારણે આ એક એન્ટી કેન્સર એજન્ટની માફક પણ કામ કરે છે.

હાલમાં જ થયેલી એક શોધમાં જાણવા મળ્યુ છે કે બેરી એક્સટ્રેક્ટ, ખાસ કરીને કાળી રાસ્પબેરી અને સ્ટ્રોબેરી પેટના કેન્સરની કોશિકાઓને અટકાવવામાં વધુ શક્તિશાળી છે. કેટલાક અન્ય સંશોધનકર્તાઓએ હાર્ટની બીમારી અને યાદશક્તિ નબળી પડવા સામે રક્ષણ કરવામાં બેરી ફળની ક્ષમતા હોવાનું કહ્યુ છે. સ્ટ્રોબેરીમાં અનેક એન્ટી ઓક્સિડેન્ટ છે જેમ કે એલજિક એસિડ અને વિટામીન સી વગેરે. એલેજિક એસિડના ગુણોની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે સ્ટ્રોબેરીથી શરીરમાં કેન્સરના કારણે બનનારા પદાર્થોને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે.

આ સિવાય એસિયા બેરી એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરેલી હોય છે. આ બેરી કેન્સર સિવાય બીજા અનેક રોગોમાં પ્રતિરોધનું કામ કરે છે. આ બેરીમાં સફરજન કરતા 11 ગણા વધારે એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. તો ફ્રેશ વેજિટેબલ્સ, બીન્સ, મસુરની દાળ, વટાણા અને ઈંડા કરતા ઘણી વધારે માત્રામાં તેમાંથી વિટામીન્સ મળે છે. તે ક્ષતિગ્રસ્ત સેલ્સને રિપેર કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને કેન્સરથી પણ બચાવે છે.