Showing posts with label જીવન જીવવાની જડીબુટ્ટી શ્રીરામ અને રામાયણ. Show all posts
Showing posts with label જીવન જીવવાની જડીબુટ્ટી શ્રીરામ અને રામાયણ. Show all posts

Thursday, April 03, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી શ્રીરામ અને રામાયણ

રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે ઃ કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ

'રામ' - અક્ષર બે, શબ્દ એક પણ એના અર્થ અનેક. બાવન અક્ષર બહારની બાબત  પણ છે - છતાં સૌ સાથે તેમનું સગપણ છે. રામને સમજવા બહુ સહેલા છે પણ સમજાવવા બહુ અઘરા છે. શિવ-પાર્વતી રામકથા સાંભળે છે ત્યારે ખુદ જગતજનની મા આદ્યશક્તિ મા સતીને પણ શંકા થાય છે કે શું આ સામાન્ય માણસ ખુદ બ્રહ્મ છે? આ માટે સતી ખુદ સીતા બન્યાં. પારખું કરવા ગયાં ને પકડાઈ ગયાં. પછી શું થયું એ આખું જગત જાણે છે. એટલે જ કહ્યું છે કે ઃ-

એક રામ દશરથકા બેટા,
એક રામ ઘટ ઘટમેં લેટા;એક રામ હૈ જગતપસારા,એક રામ હૈ સબસે ન્યારા.

રામ કરતાં યે રામનું નામ મહાન છે. વાલિયો લૂંટારો રામને બદલે 'મરા... મરા' બોલીને મહાન વાલ્મિકી ઋષિ બની ગયા અને આપણને સમગ્ર વિશ્વનું ઉત્તમ મહાકાવ્ય રામાયણ મળી ગયું એ આનું ઉત્તમ ઉદાહરણ છે.

રામ + આયણ. આયણ એટલે રહેઠાણ. ગતિ. રામનું સુંદર રહેઠાણ એટલે રામાયણ અને આત્માની ગતિ રામ તરફ થાય એનું  નામ પણ રામાયણ. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને આધારશિલા એટલે રામાયણ અને મહાભારત. બન્ને દિવ્ય મહાકાવ્યના પહેલા અક્ષર લો એટલે 'રામ' - બને. એકમાં રામ છે. બીજામાં શ્રીકૃષ્ણ છે. રામ માટે સત્ય એ જ પ્રેમ છે અને શ્રીકૃષ્ણ માટે પ્રેમ એ જ સત્ય છે. રામ કરુણાનિધાન છે એટલે સત્ય, પ્રેમ અને કરુણાએ ત્રિવેણી સંગમ રચાય છે - જેમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ઉજાગર થાય છે. ભારતનાં આ બે મહાકાવ્યોમાંથી રામ અને કૃષ્ણ કાઢી લો એટલે શું બચે?

માણસે જીવનમાં શું શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે. યોગી બનવા કરતાં ઉપયોગી બનો એવું પાદુકાની પૂજા કરનાર ભાઈ ભરત શીખવે છે. મહત્ત્વના થવું સારું નથી પણ સારા થવું એ મહત્ત્વનું છે એ ભાઈ લક્ષ્મણ શીખવુ છે. કોઈનું ભલું ન થાય એની ચિંતા કરવા કરતાં કોઈનું બૂરું કરવું નહિ એ ભાઈ શત્રુઘ્ન કહી જાય છે. સ્ત્રી માટે પતિ જ પરમેશ્વર છે એવું સીતાજીનું જીવન છે. લક્ષ્મણજી વનમાં હોવા છતાં જીવનમાં પરિવાર કલ્યાણ મંત્રનું પાલન કરનાર ઊર્મિલાનું પતિસુખનું બલિદાન કૌશલ્યા માટે વરદાન બની જાય છે. વનવાસ દરમિયાન રામ-સીતાના દાંપત્યજીવન થકી વન ઉપવન બને છે. જીવન ધન્ય બને છે.


સીતાજીમાં ગંગાની પવિત્રતા છે, ભરતજીમાં યમુનાજીની વિશાળતા છે અને ઊર્મિલામાં મા સરસ્વતીજીના સંસ્કારનાં દર્શન અદ્ભુત રમ્ય ત્રિવેણી સંગમ રચી જાય છે. એક એક પાત્રમાં ખુદ્દારી, ખુમારી અને ખાનદાનીની ઝલક દેખાય છે. હનુમાનજી વિશે તો શું કહેવું? એ તો આખેઆખી નવધા ભક્તિનું હાલતું, ચાલતું, જીવતું, જાગતું જાણે ભવ્ય મંદિર ના હોય? કોણ સાચું છે એ નહિ પણ શું સાચું છે? એ વિભીષણ જગતને શીખવી જાય છે.

યોગ ઃ કર્મસુ કૌશલમ્ - કુશળતાપૂર્વક કરેલું કાર્ય એ યોગ જ છે  એના પ્રતિનિધિ રામસેતુ બાંધનારા નલ અને નીલ છે. જર, જમીન અને જોરૃ - ત્રણેય કજિયાનાં છોરુ એ કહેવત વાલિ અને સુગ્રીવ થકી સાબિત થતી જોવા મળે છે. તો ઝાઝા હાથ રળિયામણા, સંપ ત્યાં જંપ જેવી કહેવતો આખી વાનરસેના અમલમાં મૂકી બતાવે છે. કેવટ ગૃહ એક નાવિક શ્રદ્ધાથી પર્વત પણ ચળે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાવિક પ્રેમ એટલે આચરણમાં મૂકેલી શ્રદ્ધાનું પ્રતીક છે. કહ્યું છે કે

કર્મ જો તેરે અચ્છે હૈ તો તકદીર તેરી દાસી હૈ;દિલ જો તેરા અચ્છા હૈ તો ઘરમેં મથુરાકાશી હૈ.વાસ્તવિક જીવનમાં બધાં સગાં વહાલાં નથી હોતાં અને બધાં વહાલાં સગાં નથી હોતાં - એ જોવા મળતું નગ્ન સત્ય આપણને કૈકેયીમાં પ્રતીત થાય છે. પરપુરુષના પ્રેમમાં પડવાથી કેવી હાલત થાય છે એ શૂપર્ણખાના હાલ જોયા પછી ય સમજાવવું પડે ખરું? પરસ્ત્રી ઉપર દાનત બગાડનાર રાવણે આખેઆખી સોનાની લંકા પોતાની નજર સામે સળગતી જોઈ એટલું જ નહિ બધું જ બરબાદ થઈ ગયું એ કામાંધ માણસ શાનમાં સમજી જાય તો સારું એવો બોધ આપે છે. તો ઈન્દ્રાસન લેવા ગયેલા કુંભકર્ણને નિદ્રાસન મળ્યું તે સત્તાભૂખ્યા માણસનું હૂબહૂ પ્રતીક છે. હવે તો ચેતો!

માતા પિતાની આજ્ઞાા આગળ એક રામ એકવચની બની અયોધ્યાનું રાજ છોડી જંગલની વાટ પકડે છે ત્યારે શું થાય છે? રામનું વચન એક છે, રામબાણ એક છે, પત્ની એક છે, માબાપની આજ્ઞાા એમની ટેક છે, રામના ઈરાદા નેક છે, વલ્કલ એમનો ભેખ છે, દેશ એવો વેશ છે, દિલના એ નેક છે એટલે જ સ્તો તેમના ભક્તો અનેક છે. હનુમાનજીને શ્રીરામ ભાઈ ભરત જેટલો પ્રેમ આપી બિરદાવે છે

ઃ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, સુગ્રીવને એ વાલિથી મુક્તિ અપાવે છે, નાવિકને એ પોતાના ચરણ ધોવા દે છે, લક્ષ્મણને પ્રેમ આપે છે, ભરતને પાદુકા આપે છે, અહલ્યાને શાપમાંથી મુક્ત કરી નવજીવન બક્ષે છે, શરણાગત વિભીષણને એ લંકાનું રાજ આપે છે, શબરીનાં એઠાં બોર ચાખી આખી દુનિયાને ભક્તિની શક્તિનો પરચો આપે છે, કૈકેયીને ક્ષમા આપે છે, મારીચને મોક્ષ આપે છે. રામ બધાને આપે છે, કોઈની પાસેથી કશું લેતા નથી. ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે એટલે તો હનુમાનજી છાતી ચીરે છે ત્યારે સાક્ષાત્ સીતારામ પ્રગટે છે. આ ભક્તિ જ માનવજીવનનું રસાયણ છે, જીવનની નોળવેલ છે, જીવવાની જડીબુટ્ટી છે અને આ જ ભક્તિ જીવનશક્તિ છે.


રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે. સાચા અર્થમાં અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર ત્યેન ત્યક્તેન ભુંજિયા - સાર્થક થતો જોવા મળે છે. ભગવદ્ ગીતાની અનાસક્તિ રામાયણની શોભામાં વધારો કરે છે. વનવાસમાં મોકલ્યા છતાં કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ, ભરતની રામ પ્રત્યેની પાદુકાભક્તિનો અનુરાગ જુઓ, ઊર્મિલા લક્ષ્મણના વિયોગમાં ઝૂરતી નથી, પરિવારનો ઉપયોગ એ યોગની કક્ષાએ કદી ભોગનો ત્યાગ આપી શોકને તિલાંજલિ આપી સાસુમાની સગી માની જેમ સેવા કરી ભારતીય નારીને હિમાલયની ઊંચાઈએ પહોંચાડી નારી તું નારાયણીનો દાખલો પૂરો પાડે છે. જ્યાં દુઃખ વહેંચવાની હરિફાઈ ચાલતી હોય છે ત્યાં ખુદ વિધાતાએ સુખની લ્હાણી કરવા નીકળવું પડે છે. આજનો માણસ સુખી થવા હાટુ દુઃખી થાય છે એવા માહોલમાં રામાયણના પરિવારની નજરે જુઓ તો સુખી સુખી થઈ જાય. રામાયણમાં એટલે જ તુલસીદાસ કહે છે

દૈહિક દૈવિક ભૌતિક તાપા;રામરાજ નહિ કાહુહિ વ્થાપા. નિયતિ કોઈને છોડતી નથી. ખુદ ભગવાનને પણ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો અને મહેલમાં ગયા. રામનો જન્મ મહેલમાં થયો અને જંગલમાં ગયા. વિધિની વક્રતા તો જુઓ - રાજગાદીના બદલામાં વનમાં રઝળપાટ, પુત્રોના વિયોગમાં પિતાશ્રી દશરથનું મરણ, સીતાજીનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણની મૂર્છા, સગર્ભા અવસ્થામાં ખુદની પત્નીનો ત્યાગ, સીતાજીની અગ્નિપરીક્ષા, પોતાના જ પુત્રો લવ-કુશ સાથે યુદ્ધની નોબત, સીતાજીનું પોતાની નજર સામે જ ધરતીમાં સમાઈ જવું, જીવનની સંધ્યાએ ખુદ પોતાની જ જળસમાધિ - આટલાં આટલાં દુઃખોના ઢગલા ઉપર બેસીને પણ શ્રીરામ અડગ રહ્યા છે, ધીરજની પણ ધીરજ ખૂટી જાય તેવું ધૈર્ય રાખી દુઃખોનો સામનો કર્યો છે જ્યારે આજે તો આપણા ઘરમાં પાંચ મિનિટ લાઈટ જતી રહે તોય ભરશિયાળે પરસેવો છૂટવા લાગે છે. ખરેખર સાચું કહ્યું છે કે ઃધીરજ, ધર્મ, મિત્ર અરુ નારિઆપતકાલ પરખહિ ચારિ.

આદર્શ રામરાજ એટલે તો હજારો વર્ષ થયાં છતાં આજેય વખણાય છે. સુખી થવું છે? જો હા તો રામ પાસે જાવ. રામાયણના શરણે જાવ. જીવનમાં રામ જ આરામ આપી શકે છે. બે માણસ સામસામા પહેલીવાર મળશે તો બોલશે રામ રામ. પવિત્ર લગ્ન સંબંધ વખતે બે વેવાઈ મળશે તો બોલશે રામ રામ.  ભક્તિમાં રામ છે, શ્રદ્ધામાં રામ છે, ભજનમાં રામ છે, માણસ છેલ્લી વિદાય લે ત્યારે પણ... રામ બોલો ભાઈ રામ... રામનામ સત્ય હૈ.
સીયરામ મય સબ જગ જાની કરઉ પ્રણામ જોરિ જુગ પાનીજય સીયારામ

ભગવાન શ્રી રામચંદ્રનો વિગતવાર પરિચય

 

નામ શ્રી રામચંદ્રજી દશરથજી
માતાનું નામ 
  સુ. શ્રી કૌશલ્યા
પિતાનું નામ  ઃ  શ્રી દશરથજી અજજી
જન્મ સ્થળ ઃ અયોધ્યા, ( અવધ) ઉત્તરપ્રદેશ, આર્યાવર્ત (ભારત)
જન્મ ઃ ચૈત્ર સુદ નોમ, બપોરના ૧૨-૦૦ વસંત ઋતુ
નક્ષત્ર-લગ્ન મુહૂર્ત ઃ પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્ન, અભિજીત મુહૂર્ત
ભાઈઓ ઃ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન
બહેન- બનેવી ઃ શાન્તા, ઋષ્ય શૃંગમુનિ
સાસુજી- શ્વસુરજી ઃ સુ શ્રી સુનયના, વિદેહી જનક રાજા
ધર્મપત્ની ઃ સુ. શ્રી જનક તનયા વૈદેહી સીતાજી
પુત્રો ઃ લવ અને કુશ
વંશ- કુળ- ગોત્ર ઃ સૂર્યવંશ, રઘુવંશ, રઘુકુળ, ઇક્ષ્વાકુ કુળ, કશ્યપ ગોત્ર
ગુરુ ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર
ઇષ્ટ દેવતા ઃ શિવજી (શંભુ ભોળાનાથ)
પ્રિય મંત્ર ઃ ગાયત્રી મંત્ર
પ્રિય ભક્ત ઃ શ્રી હનુમાનજી
પ્રિયમિત્ર ઃ સુગ્રીવ, ગુહ કેવટ, નલ, નીલ, જામ્બવાન, અંગદ, જટાયુ
પ્રિય શરણાગત ઃ વિભિષણ (શરણાગતનો રાજ્યાભિષેક અદ્વિતીય ઘટના)
ઘનુષ્ય ઃ વૈષ્ણવી અને કોદંડ
તલવાર ઃ નંદન
ગદા ઃ મોદકી અને શિખરી
બાણ ઃ બ્રહ્મદત્ત ભાથામાંથી નીકળ્યા પછી લક્ષ સિદ્ધ કરીને જ પાછું ફરે
વિશેષ ગુણ ઃ આજાન બાહુ, અભય ક્ષમા, ધીરજ, પવિત્રતા અક્રોધ
પ્રિય કર્તવ્ય ઃ આજ્ઞાાપાલન, ફરજપાલન,સમયપાલન, વચન પાલન
પ્રસિદ્ધ સદ્ગુણો ઃ એક વચન, એક પત્ની, આદર્શ જીવન, આદર્શ રામરાજ્ય
પ્રસિદ્ધ સંબોધન ઃ સીતાજી દ્વારા કરુણાનિઘાન અને આર્યપુત્ર
ભક્તવૃંદ ઃ શ્રી હનુમાનજી, વિભીષણ, ગુહ, કેવટ, શબરી
ઋષિદર્શન ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, માતંગ, અત્રિ, અગસ્ત્ય, ભારદ્વાજ
નદીઓના દર્શન ઃ સરયુ, તમસા, ગંગા, ગોદાવરી, ગોમતી, મંદાકીની વેદશ્રુતિ, સ્યન્હિકા
પર્વત- સરોવર ઃ ચિત્રકૂટ, મૈનાક, પંપા સરોવર
કોનો વધ કર્યો ઃ તાડકા, મારીચ, વાલિ, ઇન્દ્રજીત, ખર, દુષણ, કુંભકર્ણ અને રાવણ
ઇષ્ટ આપત્તિ  ઃ ચૌદ વર્ષ વનવાસ, સીતાજીનું રાવણ દ્વારા હરણ
અવતારી પુરુષ ઃ વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર - ૧૬ કલા
રામનો મુદ્રાલેખ ઃ રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાહું અરૃ વચન ન જાઈ
આગવી ઓળખ ઃ મર્યાદા પુરુષોત્તમ.